
*સાવરકુંડલામાં સેવા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: ૫૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા*
*જય અલખધણી અને ગોપી મહિલા મંડળના આયોજનમાં રક્તદાન કેમ્પ અને સેવાકાર્યનો અનોખો સમન્વય*
*મહંત શ્રી મસાપીર બાપુની દિવ્ય નિશ્રામાં ૨૦ હજાર લોકોએ લીધો મહાપ્રસાદ દીકરીઓને અપાયો ભવ્ય કરિયાવર*

સાવરકુંડલા:
સાવરકુંડલાના કેવડાપરા વિસ્તારમાં માનવતા અને સેવાની સુવાસ પ્રસરાવતો એક અનોખો પ્રસંગ યોજાઈ ગયો. 'જય અલખધણી અને ગોપી મહિલા મંડળ' દ્વારા આયોજિત અને નાના ઝીંઝુડાના મોમાઈ મંદિર ના મહંત શ્રી મસાપીર બાપુની દિવ્ય પ્રેરણા તથા માર્ગદર્શન હેઠળ ૫૧ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ અત્યંત ધામધૂમ પૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગે આર્થિક રીતે નબળા પરિવારોના ૫૧ નવયુગલોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્નગ્રંથિથી જોડાઈ નવા જીવનની શરૂઆત કરી હતી.
શ્રી મસાપીર બાપુના આશીર્વાદથી દરેક દીકરીને નવો સંસાર વસાવવા માટે જરૂરી એવી તમામ નાની-મોટી ચીજવસ્તુઓ (કરિયાવર) આપવામાં આવ્યો હતો આ ઉમદા પહેલથી ગરીબ પરિવારોની દીકરીઓને આર્થિક ટેકો સાંપડ્યો હતો. તેમજ આ મંગલ પ્રસંગે ૨૦ હજારથી વધુ મહેમાનો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ ભોજન સમારંભના મુખ્ય દાતા મહંત શ્રી મસાપીર બાપુ (મોમાઈ માતાજી મંદિર, નાના ઝીંઝુડા) રહ્યા હતા.
આ કાર્યક્રમમાં એક અલગ સેવાના આ યજ્ઞમાં સામાજિક જવાબદારીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક સ્થાનોના સંતો-મહંતો તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી. તમામ મહાનુભાવોએ નવદંપતીઓને અક્ષતથી વધાવી સુખી દામ્પત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા. વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન સંપન્ન થયા બાદ બપોરે દીકરીઓની વિદાય વેળાએ વાતાવરણ ભાવુક બની ગયું હતું. "સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના લગ્ન પ્રસંગે સહભાગી થવું એ જ સાચી ઈશ્વર સેવા છે." - આયોજક સમિતિ
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે 'જય અલખધણી તેમજ ગોપી મહિલા મંડળ' અને સમૂહ લગ્ન સમિતિના સ્વયંસેવકોએ રાત-દિવસ જહેમત ઉઠાવી હતી. સુવ્યવસ્થિત આયોજન, શિસ્તબદ્ધ વ્યવસ્થા અને ભક્તિમય માહોલને કારણે સમગ્ર સાવરકુંડલા પંથકમાં આ આયોજનની ચોમેર પ્રશંસા થઈ રહી છે.
બ્યુરો ચીફ - યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી