મહેસૂલ ચિંતન શિબિર-૨૦૨૬

*મહેસૂલ ચિંતન શિબિર-૨૦૨૬,અંતિમ દિવસે અધિકારીઓએ સાયકલિંગ અને મેડિટેશન દ્વારા તણાવમુક્તિ સાથે સ્ફૂર્તિનો અનુભવ કર્યો*
*એ.સી.એસ.શ્રી અને કલેક્ટરશ્રીઓએ સાયકલિંગ અને મેડિટેશન દ્વારા તંદુરસ્ત સ્વાસ્થ્યનો સંદેશ આપ્યો*
.jpeg)
ગાંધીનગર ખાતે આયોજિત ત્રણ દિવસીય 'મહેસૂલ ચિંતન શિબિર-૨૦૨૬' ના ત્રીજા અને અંતિમ દિવસે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ કાર્યભાર હળવો કરી, શારીરિક અને માનસિક સુખાકારીનો સંદેશ આપ્યો હતો. શિબિરના સમાપન પૂર્વે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવિ અને ગાંધીનગર કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલે સહિતના મહાનુભાવોએ સાયકલિંગ અને મેડિટેશનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
દિવસની શરૂઆત ખૂબ જ સ્ફૂર્તિલા વાતાવરણમાં થઈ હતી. સૌ પ્રથમ, એ.સી.એસ. શ્રીમતી ડૉ. જયંતિ રવિ, ગાંધીનગર કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલે અને વિવિધ જિલ્લાના કલેક્ટરશ્રીઓએ સાયકલ સવારીનો આનંદ માણ્યો હતો. આ સાયકલિંગ ઇવેન્ટમાં ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ, ડેપ્યુટી ડી.ડી.ઓ. શ્રી, ગાંધીનગરના નાયબ માહિતી નિયામકશ્રી, ટી.ડી.ઓ. શ્રી તેમજ જિલ્લા રમતગમત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
સાયકલિંગ દ્વારા શારીરિક વ્યાયામ કર્યા બાદ, શિબિરમાં ઉપસ્થિત તમામ અધિકારીઓએ એકસાથે મળીને મેડિટેશન કર્યું હતું. વહીવટી કામગીરીના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે માનસિક શાંતિ, સ્થિરતા અને એકાગ્રતા વધારવાના હેતુથી મેડિટેશન સત્રનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
સતત બે દિવસની ગહન ચર્ચાઓ અને સત્રો બાદ, ત્રીજા દિવસે અધિકારીઓએ ઉત્સાહપૂર્વક સાયકલિંગ અને ત્યારબાદ મેડિટેશન કરી, પોતાના કાર્યભારને હળવો કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓથી લઈને પાયાના કર્મચારીઓ સુધીના તમામ સ્તરે ટીમ વર્ક અને સંકલન જોવા મળ્યું હતું. સરકારી કામકાજની સાથે સ્વાસ્થ્ય જાળવવું કેટલું અનિવાર્ય છે, તે આ પ્રવૃત્તિ દ્વારા સાબિત કરવામાં આવ્યું હતું. આમ, મહેસૂલ ચિંતન શિબિર-૨૦૨૬ માત્ર નીતિ-વિષયક ચર્ચાઓ પૂરતી મર્યાદિત ન રહેતા, અધિકારીઓમાં નવી ઊર્જા અને ઉત્સાહના સંચારનું માધ્યમ બની હતી.