
શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ થાનગઢના આચાર્ય કમ એનસીસી ઓફિસર એ એનસીસી ઓફિસર તરીકે પ્રોમોશન મેળવ્યું.
શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢના આચાર્ય પ્રહલાદસિંહ ઝાલા શાળાના આચાર્ય ઉપરાંત એનસીસી ઓફિસર તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. તેમણે એનસીસીની ફરજના ભાગ રૂપે હાલમાં જ નાગપુરના કામઠી ખાતે એક માસનો ANO Refresher કોર્સ પૂર્ણ કર્યો હતો. જેના અનુસંધાને ૨૬ ગુજરાત બટાલીયન એનસીસી સુરેન્દ્રનગર ખાતે એનસીસી કમાન્ડિંગ ઓફિસર કર્નલ નીરજ સુદ (શૌર્ય ચક્ર)ના હસ્તે તેમની પીપીંગ (રેન્કિંગ)સેરેમની યોજવામાં આવી હતી જેમાં તેમને સેકંડ ઓફિસર તરીકે પ્રમોશન અપાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રહલાદસિંહ ઝાલા સમગ્ર જિલ્લામાં એક માત્ર એવા આચાર્ય છે જેઓ એનસીસી ઓફિસર તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. આ તકે શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢના તમામ વિદ્યાર્થીઓ ઉપરાંત સમગ્ર શાળા પરિવારે આચાર્ય શ્રી પ્રહલાદસિંહ ઝાલાને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.
રિપોર્ટર - જયેશભાઈ મોરી