
બોટાદના યુવા ડોક્ટર જીગ્નેશભાઈ હડિયળ – માનવતાની જીવંત મિસાલ
બોટાદ શહેરના યુવા અને સેવાભાવી ડોક્ટર જીગ્નેશભાઈ હડિયળે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડીને સમગ્ર સમાજમાં પ્રેરણા જગાવી છે. પોતાના વ્યવસાયને માત્ર કમાણીનું સાધન ન બનાવી, પરંતુ સેવા તરીકે સ્વીકારી તેમણે એક ગરીબ અને નિરાધાર દર્દીને નવી જિંદગી આપી છે.
માહિતી અનુસાર, બોટાદ વિસ્તારના એક દર્દી લાંબા સમયથી ગંભીર ચામડીના રોગથી પીડાઈ રહ્યા હતા. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેઓ યોગ્ય સારવાર અને દવાઓનો ખર્ચ ઉઠાવી શકતા નહોતા. આવી પરિસ્થિતિમાં ડોક્ટર જીગ્નેશભાઈ હડિયળે માનવતાની ભાવના દાખવી અને દર્દીની સંપૂર્ણ જવાબદારી પોતાના ખભે લીધી.
ડોક્ટર હડિયળે સતત બે વર્ષ સુધી આ દર્દીને મફતમાં સારવાર આપી, જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવી અને નિયમિત નિદાન કરીને અંતે તેમને આ ગંભીર ચામડીના રોગમાંથી સંપૂર્ણ મુક્તિ અપાવી. તેમની આ નિSwાર્થ સેવા માત્ર એક દર્દી માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે.
તેમની આ ઉત્તમ માનવ સેવા બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડોક્ટર જીગ્નેશભાઈ હડિયળને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન માત્ર તેમના કાર્યની કદર જ નથી, પરંતુ સમાજમાં માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ પણ આપે છે.
આ પ્રસંગે શહેરના નાગરિકોમાં ખુશી અને ગૌરવની લાગણી જોવા મળી હતી. લોકો ડોક્ટર હડિયળની પ્રશંસા કરતા કહે છે કે આજના સમયમાં આવા સેવાભાવી ડોક્ટરો સમાજ માટે આશીર્વાદ સમાન છે.
ડોક્ટર જીગ્નેશભાઈ હડિયળે સાબિત કર્યું છે કે સાચી ડોક્ટરી એ માત્ર દવાઓ આપવાથી નહીં, પરંતુ દર્દીના દુઃખને સમજીને તેની સાથે ઉભા રહેવામાં છે. તેમની આ સેવા નિઃસંદેહ માનવતાની એક ઉત્તમ મિસાલ બની રહેશે.
રિપોર્ટર અજય પરમાર રાણપુર