*ગાંધીનગરની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ ‘ગીર’ ફાઉન્ડેશન ખાતે ૧૨૦ કલાકની ઇન્ટર્નશિપ સફળતાપૂર્વક પૂર્ણ કરી*

પર્યાવરણીય શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કાર્યરત અગ્રણી સંસ્થા ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યવહારિક કૌશલ્ય વર્ધન માટે એક વિશેષ ઇન્ટર્નશિપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી વિજ્ઞાન કોલેજ, સેક્ટર-૧૫, ગાંધીનગરના બોટની (વનસ્પતિશાસ્ત્ર) વિષયના ૧૨ વિદ્યાર્થીઓએ ૧૨૦ કલાકની સઘન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
.jpeg)
આ ઇન્ટર્નશિપ કાર્યક્રમ ૯ ફેબ્રુઆરી ૨૦૨૬ થી ૧૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન યોજાયો હતો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) મુજબ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ૧૨૦ કલાકની ઇન્ટર્નશિપ અનિવાર્ય છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓને ૪ શૈક્ષણિક ક્રેડિટ પ્રાપ્ત થશે. આ કાર્યક્રમનું માળખું સંપૂર્ણપણે નવી શિક્ષણ નીતિના માપદંડોને અનુરૂપ રાખવામાં આવ્યું હતું.
૧૨૦ કલાકના આ ગાળા દરમિયાન વિદ્યાર્થીઓને બોટની વિષયને લગતા વિવિધ પાસાઓનું ઊંડાણપૂર્વક જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેમાં ક્ષેત્રિય કામગીરી અંતર્ગત કુદરતી વાતાવરણમાં વનસ્પતિનો અભ્યાસ,પ્રયોગશાળા કૌશલ્ય અંતર્ગત લેબોરેટરીમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ અને વિશ્લેષણાત્મક પદ્ધતિઓ,ડેટા મેનેજમેન્ટ વિષય સંદર્ભે માહિતીનો સંગ્રહ અને વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ,
પર્યાવરણીય અભ્યાસમાં ઇકોલોજી અને વનસ્પતિ સંરક્ષણની ટેકનિકલ પ્રવૃત્તિઓ નો સમાવેશ થાય છે.ઇન્ટર્નશિપના સમાપન અવસરે આયોજિત કાર્યક્રમમાં ‘ગીર’ ફાઉન્ડેશનના નિયામકશ્રી તથા નાયબ નિયામકશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
.jpeg)
આ પ્રસંગે નિયામકશ્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, "શીખવાની પ્રક્રિયાનો સાચો આનંદ ત્યારે જ આવે જ્યારે આપણું વલણ સકારાત્મક હોય. મહેનતનો કોઈ વિકલ્પ નથી અને સ્વઅભ્યાસ દ્વારા મેળવેલું જ્ઞાન જીવનભર ટકી રહે છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આવી ઇન્ટર્નશિપ વિદ્યાર્થીઓને પુસ્તકિયા જ્ઞાનથી આગળ વધીને સંશોધન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે.