*ગાંધીનગરના શિહોલી મોટી ખાતે ‘પ્રાતેનમા પ્રાકૃતિક કૃષિ ફાર્મ’ પર તાલીમ સેન્ટરનું ઉદ્ઘાટન સંપન્ન*

વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના તાલીમ કેન્દ્ર તરીકે પ્રાતેન્મા ફાર્મની પસંદગી, ખેડૂતોને જીવામૃત અને દેશી બીજ અંગે અપાયું માર્ગદર્શન*
પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા અને ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના ઉમદા હેતુથી આજે ગાંધીનગર જિલ્લાના શિહોલી મોટી મુકામે આવેલા ‘પ્રાતેનમા પ્રાકૃતિક કૃષિ ફાર્મ’ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના સહ-પ્રવક્તા અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ ફેડરેશનના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
હિતેન્દ્રભાઈ પટેલના હસ્તે આ ફાર્મ પર વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી, હાલોલના અધિકૃત 'તાલીમ સેન્ટર'નું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાઓમાણસા, કલોલ, ગાંધીનગર અને દહેગામના ૩૦થી વધુ પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો. ખેડૂતોએ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીના વિવિધ પાકો અને દેશી ગાયોનું રૂબરૂ નિદર્શન કર્યું હતું.
આ તકે શ્રી હિતેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, "પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. આ તાલીમ કેન્દ્ર દ્વારા ગાંધીનગર જિલ્લાના ખેડૂતો સ્થળ પર આવીને જ્ઞાન મેળવી શકશે, જે તેમના ખેતરોમાં અમલી બનાવી ખેતી ખર્ચ ઘટાડી શકશે."
ખેડૂતોને નરેન્દ્ર મંડીર મારફતે દેશી બીજ અને ગાય આધારિત ખેતીના આયામો સમજાવવામાં આવ્યા હતા. ખાસ કરીને જીવામૃત બનાવવાની રીત અને તેના ઉપયોગ વિશે પ્રાયોગિક ધોરણે સમજણ આપી જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અને અન્ય ખેડૂતોને પણ પ્રેરિત કરવાનો હકારાત્મક સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
.jpeg)