*નિફ્ટ ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ‘વિકસિત ભારત @2047’ ના નિર્માણમાં મહિલા નેતૃત્વ પર અપાયો ભાર*
.jpeg)
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT), ગાંધીનગર દ્વારા કેમ્પસ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશેષ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓની સિદ્ધિઓ, નેતૃત્વ અને સામાજિક સમાનતા જેવા વિષયો પર અર્થપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં સંસ્થાના નિયામક, આમંત્રિત મહાનુભાવો, ફેકલ્ટી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નેતૃત્વ અને સમાનતાનો સંદેશ
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી નિફ્ટ ગાંધીનગરના નિયામક પ્રોફ. (ડૉ.) સમીર સૂદએ જણાવ્યું હતું કે, "નિફ્ટ જેવી સંસ્થાઓ સમાવીશક વ્યાવસાયિક પર્યાવરણ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને ‘વિકસિત રાષ્ટ્ર’ બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું મહિલાઓની સક્રિય ભાગીદારી વગર શક્ય નથી." તેમણે ટકાઉ વિકાસ માટેના ત્રણ ‘E’—Environment (પર્યાવરણ), Equity (સમાનતા) અને Economics (અર્થતંત્ર) પૈકી ‘Equity’ (સમાનતા) પર વિશેષ ભાર મૂક્યો હતો.
ટેક્સટાઇલ ક્ષેત્રમાં મહિલાઓનું પ્રદાન
ડૉ. સૂદે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે:
.jpeg)
ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જોડાયેલા ૪.૫ કરોડ સીધા કાર્યબળમાં ૬૦ ટકા મહિલાઓ છે.
હેન્ડલૂમ ક્ષેત્રના ૩૫ લાખ કામદારોમાં ૬૫ થી ૭૫ ટકા મહિલાઓ છે.
હસ્તકલા ક્ષેત્રના ૭૦ લાખ કારીગરોમાં અડધાથી વધુ મહિલાઓ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરી રહી છે.
ખુદ નિફ્ટમાં પણ ડાયરેક્ટર જનરલ અને ડીન જેવા ઉચ્ચ પદો પર મહિલાઓનું મજબૂત નેતૃત્વ રહ્યું છે.

સાયબર સુરક્ષા અને માનસિક દૃઢતા
મુખ્ય વક્તા ડૉ. લવિના સિન્હા (IPS, DCP - સાયબર ક્રાઈમ, અમદાવાદ) એ વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અને ડિજિટલ જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "સાચી લિંગ સમાનતા ઘરમાંથી શરૂ થાય છે. મહિલાઓએ સફળતા માટે પુરુષોની નકલ કરવાની જરૂર નથી, પરંતુ પોતાની અનોખી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવો જોઈએ." તેમણે શારીરિક અને માનસિક તંદુરસ્તીને આત્મવિશ્વાસનો પાયો ગણાવ્યો હતો.
ઉદ્યોગસાહસિકતા અને સર્જનાત્મકતા
નિફ્ટના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ‘રાસલીલા ટેક્સટાઇલ’ના સ્થાપક શ્રીમતી હેતલ શ્રીવાસ્તવએ પોતાની ઉદ્યોગસાહસિક યાત્રા વહેંચતા જણાવ્યું હતું કે, ડિઝાઇન ક્ષેત્રના લોકોએ દુનિયાને અલગ દ્રષ્ટિકોણથી જોવી જોઈએ. તેમણે મહિલા કારીગરોની અદમ્ય ઈચ્છાશક્તિના ઉદાહરણો આપીને સમજાવ્યું કે કરુણા અને દૃઢતા એ મહિલા નેતૃત્વના સૌથી મોટા હથિયાર છે.
કાર્યક્રમ દરમિયાન અહિલ્યાબાઈ હોળકર, રાણી લક્ષ્મીબાઈ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જેવા પ્રેરણાદાયી વ્યક્તિત્વોના વારસાને પણ યાદ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સમાપન મહિલા સશક્તિકરણ અને સમાનતાના મૂલ્યોને આગળ ધપાવવાના સંકલ્પ સાથે કરવામાં આવ્યું હતું.
