ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ધર્મ દર્શન / બોટાદ

બોટાદ જિલ્લાના સારંગપુરમાં પરમ પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિ ભવ્ય ત્યાંથી ઉજવાયો ફુલદોલ ઉત્સવ

તીર્થધામ સારંગપુરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો ફૂલદોલ રંગોત્સવ

૭૫૦૦૦ જેટલાં હરિભક્તો કેસૂડાની રંગવર્ષાની સાથે ભક્તિના શાશ્વત રંગોથી રંગાયા

 

બોટાદ જિલ્લાના સારંગપુરમાં તા: ૮ માર્ચ, ૨૦૨૬, રવિવારના રોજ તીર્થધામ સારંગપુર ખાતે પ. પૂ. મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં ફૂલદોલ રંગોત્સવ (પુષ્પદોલોત્સવ) ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ પ્રતિ વર્ષ ફૂલદોલનો ઉત્સવ સારંગપુરમાં ધામધૂમપૂર્વક ઊજવતાં એ જ પરંપરા પ. પૂ. મહંત સ્વામી મહારાજે જાળવી રાખી છે. 

આ ઉત્સવનો લાભ લેવા પધારેલા દેશ-વિદેશના ૭૫૦૦૦ જેટલાં આબાલવૃદ્ધ હરિભક્તો-ભાવિકોથી બી.એ.પી.એસ. સારંગપુર મંદિરનું વિશાળ પરિસર અને બી.એ.પી.એસ. વિદ્યામંદિરના વિશાળ પ્રાંગણમાં રચવામાં આવેલ ઉત્સવ સ્થળ ઊભરાઈ ગયું હતું. સભા-પ્રવેશ વખતે તમામ હરિભક્તોને પ્રસાદરૂપે ફૂડપેકેટ આપવામાં આવ્યા હતા. આ ઉત્સવ માટે 7.5 લાખ ચોરસ ફૂટ જમીન પર વિશાળ સભામંડપ અને ઉત્સવને અનુરૂપ 125 ફૂટ લાંબો, 40 ફૂટ પહોળો અને 40 ફૂટ ઊંચો ભવ્ય મુખ્ય મંચ બનાવવામાં આવ્યો હતો. મંચની પિછવાઈમાં ભગવાન સ્વામિનારાયણ અને તેઓની આધ્યાત્મિક ગુણાતીત ગુરૂપરંપરાની તેમજ રંગોત્સવની સ્મૃતિ કરાવતાં દ્રશ્યો અત્યંત દર્શનીય હતા. 

 ‘રંગો રંગો મહંતજી રંગો’ થીમ અંતર્ગત યોજાયેલ પુષ્પદોલોત્સવની મુખ્ય સભાની શરૂઆત સાંજે ૪:૪૫ વાગ્યે સંગીતજ્ઞ સંતો અને યુવકોએ રંગોત્સવના પ્રાસંગિક પદો ગાઈને કરાવી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય જીવન, કાર્યો, પ્રભાવ અને સંદેશને આ કાર્યક્રમમાં વિશિષ્ટ પ્રસ્તુતિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. 

સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. વિવેકસાગર સ્વામીએ પુષ્પદોલોત્સવ ઉત્સવનો મર્મ ઘૂંટાવતા કહ્યું કે સૌએ ભગવાનના રંગે, ભક્તિના રંગે રંગાવાનું છે. 

‘સત્પુરુષ પવિત્ર કરે છે’, ‘‘સત્પુરુષ પરમાત્મા સાથે જોડે છે’ અને ‘સત્પુરુષ પરમપદ આપે છે’ આ ત્રણ થીમ અંતર્ગત સંસ્થાના વિદ્વાન સંતો પૂ. આત્મતૃપ્ત સ્વામી, પૂ. ભદ્રેશ સ્વામી, પૂ. આનંદસ્વરૂપ સ્વામી તેમજ વરિષ્ઠ સંતો પૂ. ઈશ્વરચરણ સ્વામી, પૂ. ત્યાગવલ્લભ સ્વામી અને પૂ. કોઠારી સ્વામી દ્વારા હૃદયસ્પર્શી, પ્રેરણાદાયી અને મનનીય પ્રવચનો રજૂ કરવામાં આવ્યા હતા. સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. ડૉક્ટર સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. 

 

પ.પૂ. મહંતસ્વામી મહારાજે રંગોત્સવ પર્વે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ‘આપણે આ સમૈયો કરીએ છીએ, એનું કારણ જ એ છે કે અંતઃકરણ શુદ્ધ કરવું. બધાને અંતઃ કરણ શુદ્ધ કરીને ભક્તિનો રંગ ચઢાવવાનો છે. અંતરમાં એક ભગવાન સિવાય બીજું કાંઈ ન રહે એ રીતે અંતર રંગવાનું છે.’

 

ઉત્સવની ચરમસીમારૂપે, પ.પૂ. મહંત સ્વામી મહારાજે અક્ષર-પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓનું પૂજન કર્યું હતું અને રંગોત્સવનો પ્રારંભ કર્યો હતો. ઉપસ્થિત તમામ સંતો અને હરિભક્તોએ આરતી અર્ઘ્ય અર્પણ કર્યા બાદ મહંત સ્વામી મહારાજે બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંતો પર રંગવર્ષા કરી હતી, તેમજ સંતોએ કલાત્મક પુષ્પહાર દ્વારા પ.પૂ. મહંત સ્વામી મહારાજને વધાવ્યા હતા. 

 

ત્યારબાદ પ.પૂ. મહંત સ્વામી મહારાજે અગ્ર મંચ પર લગાવેલી પિચકારીઓમાંથી સુગંધથી મઘમઘતા કેસૂડાના કેસરી જળની ધારાઓ દ્વારા હજારો હરિભક્તો, સંતો, પાર્ષદો, સાધકોને રંગવર્ષા દ્વારા તરબોળ કર્યા હતા. 

 

પ.પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને સંતો-હરિભક્તોના કુશળ આયોજનથી આજનો ઉત્સવ ભવ્યતાથી સંપન્ન થયો હતો. આ વિરાટ આયોજનને સફળ બનાવવા ૩૦ જેટલા સેવાવિભાગોમાં ૫૦૦૦ સ્વયંસેવક-સેવિકાઓએ સેવા કરી હતી.

 

રિપોર્ટર અજય પરમાર રાણપુર

AJAY PARMAR
News Creator
based in 91
Followers
0
Total News Views
671