*ગાંધીનગર જિલ્લાના પ્રવાસન સ્થળોની થશે કાયાકલ્પનો સહિયારો સંકલ્પ*
*કલેકટરશ્રી મેહુલ કે. દવેના અધ્યક્ષસ્થાને યોજાઈ જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક*
*વહીવટી તંત્ર અને ધારાસભ્યશ્રીઓ ની જાગૃતતા થકી જિલ્લાના વિવિધ ધાર્મિક, ઐતિહાસિક અને પૌરાણિક ક્ષેત્રના વિકાસને મળશે નવી દિશા*

ગાંધીનગર જિલ્લાના પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ આપવા અને ઐતિહાસિક-ધાર્મિક સ્થળોના વિકાસ માટે જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ કે. દવેના અધ્યક્ષસ્થાને 'જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી'ની એક મહત્વપૂર્ણ બેઠક કલેક્ટર કચેરીના વિડિયો કોન્ફરન્સ રૂમ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોને તેમની વિશેષતાના આધારે મુખ્ય ત્રણ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા હતા.
કલેક્ટર શ્રીએ આ ત્રણેય શ્રેણીમાં આવતા પ્રવાસન ધામોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. જે સ્થળોએ નવીનીકરણ અને મરામતની તાતી જરૂરિયાત છે, ત્યાં તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવા અને તે માટે જરૂરી બજેટ ફાળવણી કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન કલેક્ટર શ્રી મેહુલ કે. દવેએ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, પ્રવાસન સ્થળોનો વિકાસ એવી રીતે કરવામાં આવે જેથી તેની મૂળભૂત ઓળખ અને સ્થાપત્યની જાળવણી થાય. તેમણે પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા અને શૌચાલય જેવી પાયાની જરૂરિયાતો પર વિશેષ ધ્યાન આપવા સૂચના આપી હતી.

આ બેઠકમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ,માણસા તાલુકાના ધારાસભ્ય શ્રી જે.એસ પટેલ, દહેગામ ધારાસભ્ય શ્રી બલરાજ સિંહ ચૌહાણ, કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા.જેમણે પોતાના વિસ્તારમાં આવતા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપ્યું હતું.
લક્ષ ન્યુઝ