બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બગડ ગામમાં વિકાસ કામોને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગામના સરપંચ અને તલાટી દ્વારા દબંગાઈભર્યા વર્તનના આક્ષેપો વચ્ચે ગ્રામજનો પરેશાન થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિકોના કહેવા મુજબ, ગામમાં રોડ-રસ્તા અને ગટરના કામો લાંબા સમયથી બાકી છે. અનેકવાર ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત કચેરીએ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે ગામમાં અસ્વચ્છતા અને અવરજવર જેવી ગંભીર સમસ્યાઓ ઉભી થઈ છે.
ગ્રામજનોનો વધુ આક્ષેપ છે કે જ્યારે તેઓ પોતાની સમસ્યાઓ લઈને સરપંચ અને તલાટી પાસે જાય છે ત્યારે તેમની સાથે ઉગ્ર ભાષામાં વાત કરવામાં આવે છે અને કેટલીકવાર ધમકી આપવાના બનાવો પણ સામે આવ્યા છે. જેના કારણે સામાન્ય નાગરિકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.
આ સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક તપાસ કરી જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ ગાંધીજીના માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરવા મજબૂર બનશે.
હાલમાં આ મુદ્દો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતે કેટલું ગંભીર બને છે અને ગ્રામજનોને ન્યાય મળે છે કે નહીં.
રિપોર્ટર અજય પરમાર રાણપુર
