*ગાંધીનગર ખાતે ૨૬મી ઓગસ્ટે ૭૭મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાશે*
*******
*આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની અધ્યક્ષતામાં જામળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે*
********

ગાંધીનગર તા.૨૪ ઓગસ્ટ -
ગાંધીનગર જિલ્લા કક્ષાના ૭૭મા વન મહોત્સવ – ૨૦૨૬ અંતર્ગત આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની અધ્યક્ષતામાં પર્યાવરણીય ઉજવણી કરવામાં આવશે.
આગામી તા. ૨૬/૦૮/૨૦૨૬, બુધવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે માણસા તાલુકાના જામળા સ્થિત આસુદેવ મહાદેવ મંદિર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં પર્યાવરણ જતન અને વૃક્ષારોપણના સંદેશ સાથે વિવિધ સાંસ્કૃતિક અને પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાશે.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ તેમજ મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લાના ધારાસભ્યશ્રીઓ તેમજ ગીર ફાઉન્ડેશનના નાયબ નિયામક ડો. અભિષેક કુમારની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે.
કાર્યક્રમમાં મહાનુભાવો અને ઉપસ્થિત ગ્રામજનો દ્વારા હરિયાળી ક્રાંતિના સંકલ્પ સાથે સ્થળ પર વૃક્ષારોપણ કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી રવિન્દ્ર ડી. ખતાલે અને નાયબ વન સંરક્ષક શ્રી રવિરાજસિંહ રાઠોડ દ્વારા તમામ નાગરિકોને આ ઉજવણીમાં સહભાગી થવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.