
ભીમે સ્થાપ્યું શિવલિંગ, પાંડવકુંડ અને પાંડવોના પગલાં આજે પણ આસ્થાનું કેન્દ્ર... રૂ.2 કરોડના ભવ્ય મંદિરથી લોહેશ્વર ધામ બન્યું વધુ દિવ્ય
પાટણ જિલ્લો માત્ર ઐતિહાસિક ધરોહર માટે જ નહીં, પરંતુ પૌરાણિક આસ્થાના અનેક પ્રાચીન તીર્થસ્થાનો માટે પણ જાણીતો છે. પાટણના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામ નજીક આવેલું લોહેશ્વર મહાદેવ ધામ આવું જ એક પૌરાણિક અને આસ્થાનું સ્થાન છે.
પ્રચલિત માન્યતા મુજબ મહાભારતકાળ દરમિયાન પાંડવો અહીં રોકાયા હતા અને ભીમસેને અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. આજે પણ પાંડવકુંડ, પાંડવોના પગલાં અને પ્રાચીન વરખડીનું વૃક્ષ આ પૌરાણિક ગાથાની સ્મૃતિને જીવંત રાખે છે.

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામ નજીક આવેલું લોહેશ્વર મહાદેવ ધામ... જ્યાં ભક્તિ સાથે જોડાયેલી છે મહાભારતકાળની પૌરાણિક ગાથા.
પ્રચલિત માન્યતા મુજબ પાંડવોના વનવાસ અને અજ્ઞાતવાસ દરમિયાન આ વિસ્તાર ‘ધર્મારણ્ય ક્ષેત્ર’ તરીકે ઓળખાતો હતો. પાંડવો અહીં રોકાયા હતા અને ધર્મરાજ યુધિષ્ઠિરના શિવપૂજનના નિયમને જાળવવા માટે ભીમસેને જંગલમાં શિવલિંગ સ્થાપ્યું હતું.
ત્યારથી આ સ્થાન લોહેશ્વર મહાદેવ તરીકે આસ્થાનું કેન્દ્ર બન્યું હોવાનું માનવામાં આવે છે.
આજે પણ મંદિર પરિસરમાં આવેલા પાંચ પાંડવકુંડ, પાંડવોના પગલાં અને પ્રાચીન વરખડીનું વૃક્ષ શ્રદ્ધાળુઓને પાંડવોની સ્મૃતિ સાથે જોડે છે.
પાંડવકુંડને લઈને પણ અનેક ધાર્મિક માન્યતાઓ પ્રચલિત છે. કુંડની સફાઈ દરમિયાન શિવલિંગ મળવા તથા પાણીના ઝરણાં ફૂટી નીકળવાની માન્યતા ભક્તોમાં વિશેષ શ્રદ્ધા જગાવે છે.
લોહેશ્વર ધામમાં પિતૃ અને માતૃ શ્રાદ્ધની પરંપરા હોવાની માન્યતાને કારણે પણ અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. ખાસ કરીને ફાગણ વદ અગિયારસથી અમાસ સુધી ભરાતો પરંપરાગત મેળો આ ધામની ધાર્મિક ઓળખને વધુ મજબૂત બનાવે છે.
લોહેશ્વર મહાદેવને હવે ભવ્ય નવું સ્વરૂપ પણ મળ્યું છે. અંદાજે રૂ.2 કરોડના ખર્ચે બંસીપહાડપુરના લાલ પથ્થરોમાંથી કોતરણીયુક્ત ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની સ્થાપત્ય શૈલીને કારણે તેને ‘મિની સોમનાથ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
શ્રાવણ માસ દરમિયાન અહીં શિવભક્તોની ભારે ભીડ જોવા મળે છે. પૂજા, આરતી અને શિવધૂનથી સમગ્ર લોહેશ્વર ધામ શિવમય બની જાય છે.
પાંડવોની સ્મૃતિ, ભીમસેન દ્વારા શિવલિંગ સ્થાપનાની પૌરાણિક માન્યતા, પાંડવકુંડ અને ભવ્ય મંદિર... પાટણ જિલ્લાના મુજપુર નજીકનું લોહેશ્વર મહાદેવ ધામ આજે પણ ઉત્તર ગુજરાતની પૌરાણિક આસ્થા અને ધાર્મિક ધરોહરનું જીવંત પ્રતીક બની રહ્યું છે.

રિપોર્ટર : પંકજ સાધુ પાટણ