ગાંધીનગર
કલોલ 108 એમ્બ્યુલન્સની પ્રમાણિકતા:
ટ્રેન અકસ્માતમાં અજાણ્યા વ્યક્તિનો જીવ બચાવ્યો
ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક ઈશંડ રેલ્વે ફાટક પાસે ટ્રેન અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. તારીખ 17 એપ્રિલ 2026ના રોજ સવારે અંદાજે 10:46 વાગ્યે કલોલની બંન્ને 108 એમ્બ્યુલન્સ ટીમને અકસ્માત અંગે કૉલ મળતા તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી.
માહિતી મુજબ આશરે 55 વર્ષીય અજાણ્યા પુરુષને ટ્રેન અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી. સ્થળ પર પહોંચતા તેઓ બેભાન હાલતમાં મળ્યા હતા અને તેમના ડાબા હાથનો કોણી ભાગથી કપાઈ ગયો હતો. પરિસ્થિતિ ગંભીર હોવા છતાં 108 ટીમે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી દર્દીને સ્થિર કર્યો.
વિશેષ બાબત એ રહી કે અકસ્માત સ્થળ સુધી એમ્બ્યુલન્સ પહોંચવા માટે યોગ્ય રસ્તો ન હોવા છતાં ઈએમટી પ્રસેનજિત કૌશલ, ઈએમટી રાજદીપસિંહ ઝાલા તેમજ પાઇલોટ માણેકલાલ અને જયપાલસિંહે માનવતા દાખવી દર્દીને સ્ટ્રેચર પર લઈ રેલ્વે ટ્રેક પરથી ચાલતા ચાલતા એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો.
ત્યારબાદ દર્દીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ નિ:સ્વાર્થ અને બહાદુરીભર્યા કાર્યથી પ્રભાવિત થઈ રેલ્વે પોલીસ સ્ટાફ અને સ્ટેશનના કર્મચારીઓએ 108 એમ્બ્યુલન્સ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ: સ્થાનિક પ્રતિનિધિ