રૂ.અ.શેઠ કન્યા શાળા, રાણપુરની SMC દ્વારા વિવાદિત શિક્ષકની કન્યા શાળામાં પુનઃનિમણૂક ન કરવા લેખિત રજૂઆત
રાણપુર સ્થિત રૂ.અ.શેઠ કન્યા શાળામાં શિક્ષક તરીકે ભૂતકાળમાં ફરજ બજાવતા જાવેદ અશરફભાઈ ચુડેસરાને ફરીથી આ જ કન્યા શાળામાં હાજર ન કરાવવા બાબતે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ડિસેમ્બર 2022માં જાવેદ ચુડેસરા સામે POCSO એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો, જેના કારણે તે સમયે શાળાની વિદ્યાર્થીનીઓ, વાલીઓ તેમજ સમગ્ર ગ્રામજનોમાં ભારે ચિંતા અને અશાંતિ ફેલાઈ હતી. તાજેતરમાં કોર્ટ દ્વારા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા બાદ ફરીથી રૂ.અ.શેઠ કન્યા શાળામાં ફરજ પર હાજર થવા હુકમ આપવામાં આવ્યો છે.
આ સંદર્ભે શાળાની SMC સમિતિએ તારીખ 05-02-2026ના રોજ શાળા સંચાલન, પે સેન્ટર શાળા, રાણપુર તાલુકાના શિક્ષણ અધિકારી તેમજ બોટાદ જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં સ્પષ્ટ જણાવાયું છે કે, રૂ.અ.શેઠ કન્યા શાળા માત્ર કન્યાઓ માટેની શાળા હોવાથી વિદ્યાર્થીનીઓની સુરક્ષા, માનસિક શાંતિ અને વાલીઓનો વિશ્વાસ જળવાઈ રહે તે હેતુથી આ શિક્ષકને કન્યા શાળાને બદલે અન્ય કોઈ યોગ્ય શાળામાં, ખાસ કરીને કુમાર વિદ્યાર્થીઓની શાળામાં, નિમણૂક કરવા વિચારણા કરવી જોઈએ.
SMC સમિતિએ આ મુદ્દાને ગંભીરતાથી લઈ તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા સંબંધિત અધિકારીઓને અપીલ કરી છે. તેમજ અંતે જણાવાયું છે કે જો આ શિક્ષકને કન્યા શાળામાં જ હાજર કરવામાં આવશે તો વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષા માટે સમિતિ શાળાને તાળાબંધી જેવા પગલાં લેવા સુધીની તૈયારી દર્શાવે છે.