
ગ્રામજનોને પીવાના પાણીની સુવિધા વધુ સુદૃઢ બનશે કલોલ તાલુકાના હાજીપુરા (કપ્તાનપુરા) ગામે ગ્રામજનોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ બને તે હેતુસર નવીન પાણીના બોરનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર વરદ હસ્તે નવીન પાણીના બોરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગામમાં ઉનાળાના સમયમાં પીવાના પાણીની તંગી સર્જાતી હોવાને કારણે ગ્રામજનો લાંબા સમયથી નવી પાણીની વ્યવસ્થા માટે માંગ કરી રહ્યા હતા. આ બાબતને ધ્યાને લઈ સ્થાનિક વહીવટીતંત્ર અને જનપ્રતિનિધિઓના પ્રયાસોથી નવીન બોરની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેના કારણે હવે ગ્રામજનોને પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ બનશે.
આ શુભ પ્રસંગે ગાંધીનગર જિલ્લા સંગઠન મહામંત્રી ભુલાભાઈ દેસાઈ, મોટી ભોયણ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય કાંતિજી ઠાકોર, ગામના પ્રમુખ શકરાજી ઠાકોર, જયેશજી ઠાકોર, ભરતજી ઠાકોર તેમજ ગામના સરપંચ અને પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, “ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી જીવનની મૂળભૂત જરૂરિયાત છે. સરકાર અને જનપ્રતિનિધિઓ ગ્રામજનોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસલક્ષી કામો સતત કરી રહ્યા છે. નવીન બોરથી હાજીપુરા ગામના લોકોને લાંબા સમય સુધી લાભ મળશે.”
ગ્રામજનો દ્વારા નવીન પાણીની સુવિધા માટે આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા જનપ્રતિનિધિઓ નો આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતે સૌના સહયોગથી વિકાસ કાર્યોને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.