ફતેપુરા બસ સ્ટેશન પરિસરમાં જ શૌચાલયનું ગંદુ પાણી ઠાલવાતાં દુર્ગંધથી મુસાફરો પરેશાન: સ્વચ્છતા સામે ઉઠ્યા સવાલો.
ફતેપુરા, તા. 14
ફતેપુરા બસ સ્ટેશન ખાતે શૌચાલયના ગંદા પાણીના નિકાલની કામગીરીને લઈને સ્વચ્છતા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. આજે સ્થળ પર કરવામાં આવેલા રિપોર્ટિંગ દરમિયાન સક્શન ટેન્કર મારફતે શૌચાલયનું ગંદુ પાણી બસ સ્ટેશન પરિસરમાં જ ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવતું જોવા મળ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, શૌચાલયમાંથી સક્શન ટેન્કર દ્વારા ગંદુ પાણી ભરવામાં આવ્યા બાદ તેનો અન્ય યોગ્ય સ્થળે નિકાલ કરવાના બદલે બસ સ્ટેશન પરિસરમાં આવેલા સરકારી હોર્ડિંગ નજીક ખુલ્લી જગ્યામાં નિકાલ કરવામાં આવ્યો હતો. ગંદુ પાણી ખુલ્લામાં ઠાલવાતા સ્થળ પર દુર્ગંધ ફેલાતી હોવાનું જોવા મળ્યું હતું.
બસ સ્ટેશન પર મુસાફરોની સતત અવરજવર રહેતી હોવાથી ગંદા પાણીના નિકાલની આ કામગીરીથી મુસાફરોને અસુવિધા થતી હોવાનું જણાયું હતું. આસપાસના વેપારીઓ અને રાહદારીઓ માટે પણ દુર્ગંધની સમસ્યા ઊભી થતી હોવાની રજૂઆતો સામે આવી છે.
જાહેર સ્થળે ગંદા પાણીના નિકાલની કામગીરી અંગે હવે યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂરિયાત વ્યક્ત થઈ રહી છે. મુસાફરો દ્વારા બસ સ્ટેશન પરિસરની સફાઈ કરાવવા તેમજ ગંદા પાણીના નિકાલ માટે યોગ્ય સ્થળ અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા સ્થળની સ્થિતિની તપાસ કરી ગંદા પાણીના નિકાલ અંગેની વ્યવસ્થા વધુ સુદૃઢ કરવામાં આવે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
અહેવાલ યાસીર ગુડાલા, ફતેપુરા