કલોલ પૂર્વમાં મોરારજીનગર પાસે ૨૪ મીટરનો રોડ ઔડાએ અટકાવતા રોષ
૨૦૦ મીટરનો ટુકડો અધૂરો રહેતાં હાઇવે જોડાણ ખોરવાયું, જનતામાં ઉગ્ર સવાલો

કલોલ : કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં ટી.પી. સ્કીમ નંબર-૩ ખોલવાની વર્ષોથી માંગણી બાદ ઔડા દ્વારા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. ટી.પી. સ્કીમ-૩ અંતર્ગત ૨૪ મીટરનો માર્ગ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી અને માર્ગ ઉપર થયેલા દબાણો દૂર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ હતી.
આ માર્ગ સઈજ ગામ થઈને સીધો અમદાવાદ-મહેસાણા હાઈવે સાથે જોડાવાનો હોવાથી પૂર્વ વિસ્તારના ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થવાનો હતો. જોકે છેલ્લા ત્રણ મહિનાથી કામગીરી મંદ ગતિએ ચાલી રહી છે. આ દરમિયાન મોરારજીનગરથી રેલવે ગરનાળા સુધીનો અંદાજિત ૨૦૦ મીટરનો માર્ગ બનાવવાનું કામ ઔડાએ અટકાવી દીધું હોવાનું સામે આવ્યું છે.
આ ૨૦૦ મીટરનો ટુકડો અધૂરો રહેતાં પૂર્વ વિસ્તારના નાગરિકો સીધા હાઈવે પર નીકળી શકતા નથી, જેના કારણે આખા ૨૪ મીટરના માર્ગ પ્રોજેક્ટનો હેતુ અધૂરો રહી ગયો છે. તંત્રની આ બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે અને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
બીજી તરફ, ઔડાએ રઘુવીર ચોકડી આસપાસ ૧૨ મીટરના માર્ગને પહોળો કરવાની કામગીરી પણ શરૂ કરી હતી. રસ્તા ઉપર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ હજી અમુક દબાણો યથાવત રહેતાં કામ અટવાઈ ગયું છે.
ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે રઘુવીર ચોકડીના ચાર રસ્તા પરથી બાકી રહેલા દબાણો તાત્કાલિક દૂર કરી માર્ગ પહોળો કરવાની માંગ ઉગ્ર બની રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો ઔડા તાત્કાલિક કામગીરી પૂર્ણ નહીં કરે તો આગામી વરસાદમાં પૂર્વ વિસ્તારની જનતાની હાલત કફોડી બની છે
લક્ષ ન્યુઝ - સંજય નાયક