રાધનપુર પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું : જરૂરિયાતમંદ વૃદ્ધ પરિવારને અનાજ-કરિયાણાની કીટ આપી સહાય કરી
પોલીસનું નામ આવે ત્યારે સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ યાદ આવે છે, પરંતુ રાધનપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે માનવતાભરી કામગીરી કરીને સમાજ સમક્ષ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે હંમેશા તત્પર રહેતી રાધનપુર પોલીસે આર્થિક મુશ્કેલીમાં જીવન પસાર કરી રહેલા એક વૃદ્ધ પરિવારને અનાજ અને કરિયાણાની કીટ આપી માનવતાની મિસાલ રજૂ કરી છે.

મળતી માહિતી મુજબ રાધનપુર પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલને પોતાના વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ અને આર્થિક રીતે નબળા પરિવારની દયનીય પરિસ્થિતિની જાણ થઈ હતી. પરિવાર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હોવાના કારણે રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યો હતો. પરિવારની આ પરિસ્થિતિ અંગે જાણ થતાં જ રાધનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી. વાઘીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ તાત્કાલિક સંવેદનશીલતા દાખવી મદદ માટે આગળ આવ્યું હતું.
પોલીસ સ્ટાફ દ્વારા પરિવારને અનાજ અને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સહાય મળતાં પરિવારના સભ્યોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમણે પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસની આ કામગીરીએ સાબિત કર્યું છે કે ખાખી વર્દીની પાછળ માત્ર ફરજ જ નહીં પરંતુ માનવતા અને સેવા ભાવના પણ વસે છે.
રાધનપુર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનોએ બિરદાવી હતી. લોકોએ જણાવ્યું હતું કે પોલીસ માત્ર ગુનાઓ સામે કાર્યવાહી જ નથી કરતી, પરંતુ સમાજના નબળા અને જરૂરિયાતમંદ વર્ગોની મદદ માટે પણ આગળ આવે છે, જે પ્રશંસનીય બાબત છે.
રાધનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી. વાઘીયા અને સમગ્ર સ્ટાફની આ માનવતાભરી પહેલ સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવનાર બની છે. આવી કામગીરીઓથી પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સંબંધ વધુ મજબૂત બનશે તેમજ અન્ય લોકો પણ જરૂરિયાતમંદોની મદદ માટે પ્રેરિત થશે.
રિપોર્ટર - પંકજ સાધુ પાટણ