ધાનપુર મામલતદાર કચેરીના પરિસરમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા ૪૭ વર્ષીય રાજુભાઈ કેશવભાઈ ભૂરાનું હાર્ટ એટેક આવવાથી આકસ્મિક નિધન થયું છે. આ દુઃખદ ઘટનાને પગલે સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારજનોમાં ઘેરો શોક છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, રાજુભાઈ ધાનપુરથી પોતાની ફરજ પૂર્ણ કરી બાઈક પર પોતાના વતન નાંદવા ગામે પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન વાસીયા ડુંગરી ગામ નજીક પહોંચતા જ તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. તેમની તબિયત લથડતા તાત્કાલિક તેમને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા.
રાજુભાઈના અચાનક અવસાનના સમાચાર મળતા જ તેમના પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે. તેઓ એક કર્મઠ અને મિલનસાર કર્મચારી તરીકે જાણીતા હતા. તેમના નિધનથી પરિવાર સાથે વહીવટી તંત્રમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે
રિપોર્ટર યાસીર ગુડાલા, દાહોદ