.jpg)
.jpg)
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પવિત્ર મહાવીર જયંતિ નિમિત્તે સમગ્ર જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે છવ્વીસો વર્ષ પહેલા જૈન ધર્મના પરમ પૂજ્ય ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હતો, જેના પાવન અવસરે આ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
રાણપુર શહેરમાં નીકળેલી આ રથયાત્રામાં જૈન સમાજના ભાઈઓ, બહેનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. સુશોભિત રથમાં ભગવાન મહાવીરની પ્રતિમા સાથે યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. ઢોલ-નગારા ના ગાજતા તાલે યુવાનો અને મહિલાઓએ રાસ-ગરબા રમીને સમગ્ર વાતાવરણને ભક્તિમય અને આનંદમય બનાવી દીધું હતું.
આ પ્રસંગે સમાજ દ્વારા શાંતિ, અહિંસા અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો, જે ભગવાન મહાવીરના ઉપદેશોને જીવંત બનાવે છે.
મહાવીર જયંતિના પાવન દિવસે જૈન સમાજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી. જેમાં પાંજરાપોળમાં અબોલ પશુઓને લીલો ઘાસ અને ચારો ખવડાવવામાં આવ્યો હતો તેમજ પારેવાઓને ચણ નાખીને પ્રાણીમાત્ર પ્રત્યે દયા અને કરુણાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
આ રીતે રાણપુરમાં મહાવીર જયંતિની ઉજવણી ધાર્મિક ભાવના, સેવા અને એકતાનો અનોખો સંદેશ આપતી યાદગાર બની રહી હતી.
રિપોર્ટર અજય પરમાર રાણપુર