રાણપુરમાં બ્રિજના સ્ટેબિલિટી રિપોર્ટ મુદ્દે યુથ કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, ટ્રાફિક જામ
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ સુખભાદર નદી ઉપરના મુખ્ય બ્રિજનો સ્ટેબિલિટી રિપોર્ટ હજુ સુધી જાહેર ન થતા મામલો ગરમાયો છે. આ મુદ્દે રાણપુર યુથ કોંગ્રેસ દ્વારા આજે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું.
પ્રદર્શનકારીઓએ બ્રિજની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરતાં તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરોએ માંગ કરી હતી કે તાત્કાલિક સ્ટેબિલિટી રિપોર્ટ જાહેર કરવામાં આવે તેમજ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવો બ્રિજ બનાવવામાં આવે.
આંદોલન દરમિયાન કાર્યકરોએ ચીમકી આપી હતી કે જો વહેલી તકે સ્ટેબિલિટી રિપોર્ટ જાહેર નહીં કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના બનશે, તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.
આ રસ્તા રોકો આંદોલનના કારણે પુલ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાસ્થળે પોલીસ તૈનાત રહી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પ્રયત્નો હાથ ધરાયા હતા.
હાલ તંત્ર તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ભય અને ચિંતા જોવા મળી રહી છે.
રિપોર્ટર અજય પરમાર રાણપુર